Tuesday, May 14, 2013

વનવગડો, ડુંગરા, ધોધ, સમુદ્ર અને ઐતિહાસિક સ્થળો છે

બધું એક જ જગ્યાએ વનવગડો, ડુંગરા, ધોધ, સમુદ્ર અને ઐતિહાસિક સ્થળો છે વસઈમાં * સુરુ-ચી બાગ (એકદમ ઉપર) અને વસઈનો કિલ્લો * ચિંચોટીનો ધોધ * તુંગારેશ્ર્વરનો ધોધ વિપુલ વૈદ્ય મુંબઈનાં મોટા ભાગનાં પિકનિક પોઈન્ટ જોઈ લીધાં છે. મુંબઈની નજીક એવું સ્થળ શોધી રહ્યા છો જ્યાં અમુક કલાકોમાં જઈને આવી શકાય, તો એવું સ્થળ છે વસઈ. મુંબઈની એકદમ નજીક જ્યાં સમુદ્રકિનારો પણ છે, અભયારણ્ય પણ છે અને સુંદર ડુંગરા અને તેના પરથી વહેતાં ઝરણાં અને ધોધ પણ છે. ઈતિહાસ અને ઐતિહાસિક જગ્યામાં રસ હોય તેમને માટે વસઈનો કિલ્લો પણ છે. સાહસિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકો વસઈમાં ટ્રેકિંગ અને પેરાગ્લાઈડિંગ પણ કરી શકે છે. મુંબઈના ૯૯ ટકા ગુજરાતીઓને શહેરની અત્યંત નજીક આવેલું હિલસ્ટેશન એટલે લોનાવલા-ખંડાલા એની ખબર હશે, પરંતુ મુંબઈ શહેરની અત્યંત નજીક આવેલા તુંગારેેશ્ર્વર અને ચિંચોટીના ડુંગરા અને તેના પરના મનમોહક ધોધ વિશેની જાણકારી પાંચ ટકા ગુજરાતીઓને પણ નહીં હોય. આજે મુંબઈ શહેરની અત્યંત નજીક આવેલા વસઈ શહેરના અનેક પિકનિક સ્પોટ વિશેની માહિતી મેળવીએ. સુરુ-ચી બાગ જે ગાર્ડન નહીં બીચ છે વસઈમાં પિકનિક માટેની અત્યંત લોકપ્રિય અને ફિટ ફોર ફેમિલી જગ્યા છે સુરુચી બાગ. આ નામ પહેલી વખત સાંભળનારા ૯૦ ટકા લોકો આ જગ્યા કોઈ ગાર્ડન હોવાનું ધારી લે છે, પરંતુ આ કોઈ ગાર્ડનનું નહીં વસઈમાં આવેલા એક અત્યંત સુંદર સમુદ્રકિનારા અથવા તો બીચનું નામ છે. આ જગ્યાનું નામ સુરુચી બાગ નહીં સુરુ-ચી બાગ એટલે કે સુરુ નામના વૃક્ષનો બગીચો છે. વસઈના આ દરિયાકિનારા પર મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયન પાઈનનાં વૃક્ષો, જેને મરાઠીમાં સુરુ (કેમ કે તેના પાંદડાનો આકાર સોઈ જેવો હોય છે) કહેવાય છે, આવેલા છે અથવા તો હતા. અત્યારે તો આમાંના મોટા ભાગનાં વૃક્ષોની કતલ થઈ ગઈ છે. શાંત અને સ્વચ્છ સમુદ્રકિનારાનો આનંદ માણવો હોય તો વસઈના એકમાત્ર ફેમિલી પિકનિક પોઈન્ટ તરીકે જાણીતા સુરુ-ચી બાગનો આનંદ લઈ શકાય. વર્ષના ૩૦૦ દિવસ સૂર્યાસ્ત વખતે અહીં રંગોની અનોખી છટા જોવા મળે છે, જોકે અંધારું થયા બાદ અહીં વધુ રોકાવું સલાહભર્યું નથી. કેવી રીતે જઈ શકાય? વસઈ સ્ટેશનથી પારનાકા સુધી રિક્ષામાં જઈને ત્યાંથી બે મિનિટ પગપાળા ચાલીને પહોંચી શકાય તુંગારેશ્ર્વર વસઈના પૂર્વમાં આવેલું એક ઐતિહાસિક ધાર્મિક સ્થળ જે હવે પિકનિક સ્પોટ તરીકે વધુ લોકપ્રિય બની રહ્યું છે. મુંબઈના નેશનલ પાર્કના અભયારણ્યમાં પ્રવેશ ન મળતાં દુ:ખી થયેલા લોકો તુંગારેશ્ર્વરમાં અસલી જંગલનો આનંદ માણી શકે છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલા સહ્યાદ્રિની હારમાળાના ૨૧૭૭ ફિટના સૌથી ઊંચા ડુંગરા પર એક ઐતિહાસિક શિવમંદિર આવેલું છે. તેનાથી થોડે ઉપર સદાનંદ બાબાનો આશ્રમ પણ છે અને ડુંગરની બીજી તરફ બાપા સીતારામની મઢુલી પણ છે. અત્યારે પિકનિક પોઈન્ટના એન્ગલથી વાત કરીએ તો વન્યપ્રેમીઓ અને ટ્રેકિંગનો શોખ ધરાવતા લોકો માટે ભીડભાડથી દૂર એવી આ સારી જગ્યા છે. આ ડુંગરા પર અનેક નાના-મોટા ધોધ આવેલા છે અને વર્ષના ૮ મહિના અત્યંત આનંદ આપી શકે છે. ઉનાળાના ચાર મહિના પાણી ઓછું હોવાથી એટલો આનંદ માણી શકાતો નથી, પરંતુ શહેરમાં જેટલી ગરમી થાય છે તેનાથી આ વન્ય વિસ્તારમાં ઘણી ઓછી ગરમી લાગે છે. આ જંગલોમાં દીપડા અને રીંછ જેવા હાનિ પહોંચાડી શકે તેવા પ્રાણીઓ અને અનેક પ્રકારના સાપ, નાગ અને અજગર રહેતા હોવાથી અંધારું થાય એટલે આ જગ્યાએથી નીકળી જવું હિતાવહ છે. કેવી રીતે જઈ શકાય મુંબઈ અમદાવાદ હાઈવે પર વસઈ ફાટા પાસે ઊતરીને ચાલતા જઈ શકાય વસઈ રેલવે સ્ટેશનથી તુંગારેશ્ર્વર જવા એસટી બસ મળે છે. ઈસ્ટમાંથી રિક્ષા દ્વારા જઈ શકાય ચિંચોટી મુુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલા વસઈ તાલુકાના જૈનોના તીર્થસ્થાન તરીકે જાણીતા કામણગામથી ચિંચોટીના પ્રખ્યાત વોટર ફોલ્સનો આનંદ મેળવવા માટે સહેલાણીઓ જતા હોય છે. તુંગારેશ્ર્વરના જ ડુંગર પર બીજી તરફથી આ ધોધ પર જઈ શકાય છે. વાસ્તવમાં જંગલમાંથી જવાના બે અલગ અલગ રસ્તા છે અને બંને રસ્તા ચિંચોટીના પ્રખ્યાત ધોધ સુધી લઈ જાય છે. વસઈ તાલુકાના સૌથી ઊંચા ડુંગર પર આવેલા ૧૨૫ ફૂટ ઊંચા ધોધમાં પલળવાનો રોમાંચ અલગ જ છે, પરંતુ આ ધોધ સુધી પહોંચવાની યાત્રા પણ એટલી જ રોમાંચક છે. ગાઢ જંગલમાંથી પસાર થઈને અહીં પહોંચવું પડે છે અને કેટલીક વખત દીપડાનો સામનો પણ થઈ શકેછે. આ ધોધનો આનંદ વર્ષના ૧૦ મહિના સુધી માણી શકાય છે, પરંતુ ચોમાસામાં અહીં આવવું અત્યંત જોખમી હોય છે. ખાસ કરીને ભારે વરસાદમાં પાણીનું વહેણ જોશમાં હોય છે અને આસપાસની માટી અત્યંત ચીકણી ત્યારે લપસી પડવાના બનાવ અત્યંત સામાન્ય છે. બીજું વરસાદમાં સાપ નાગ વગેરે બહાર આવતા હોવાથી પણ જોખમ હોય છે. બીજું ધોધ જ્યાં નીચે પડે છે તે તળાવ પણ આઠ ફૂટ જેટલું ઊંડું હોવાથી જેમને તરતાં ન આવડતું હોય તેમણે પાણીમાં કૂદકા મારવા નહીં. ચિંચોટી જતી વખતે સારા જૂતાં, રેઈન જેકેટ, દોરડું, ટોર્ચ જેવી વસ્તુઓ રાખવાની ખાસ સલાહ આપવામાં આવે છે. અહીં ચોમાસામાં તણાઈ જવાના અનેક કિસ્સા બને છે. કેવી રીતે જવાય? નાયગાંવ રેલવે સ્ટેશન પર ઊતરીને રિક્ષા સ્ટેન્ડથી ચિંચોટી નાકા અથવા ચિંચોટી ધોધની રિક્ષા મળશે. મુંબઈ -અમદાવાદ હાઈવે પર કામણગામ પાસે ઊતરીને ચાલતા જઈ શકાય વસઈનો કિલ્લો ગુજરાતના સૂબા બહાદુર શાહે વસઈનો કિલ્લો બનાવ્યો હતો અને ત્યાર બાદ પોર્ટુગીઝોએ આ કિલ્લાને અત્યારનું સ્વરૂપ આપ્યું હતું. ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલા વસઈને પોર્ટુગીઝોએ આ કિલ્લા દ્વારા સુરક્ષિત બનાવ્યું હતું. પૂરા ૨૦૫ વર્ષ બાદ મરાઠાઓએ મહિનાઓ સુધી પોર્ટુગીઝોને લડત આપીને ૧૭૩૯માં વસઈના કિલ્લા પર વિજય મેળવ્યો હતો અને વજ્રેશ્વરી દેવીની સ્થાપના કરી હતી. આ કિલ્લામાં મરાઠાઓના વિજયની યાદમાં છત્રપતિ શિવાજીનું નહીં, મરાઠા સરદાર ચિમાજી આપ્પાનું અશ્ર્વારૂઢ પૂતળું છે. જોકે આટલું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું હોવા છતાં મરાઠા શાસકોએ આ કિલ્લા અને વસઈ પ્રત્યે દુર્લક્ષ કર્યું હતું, વાસ્તવમાં વસઈમાં પોર્ટુગીઝો દ્વારા જે ધર્માંતરણની ઝુંબેશ ચલાવવામાં આવી હતી તેને રોકવા માટે જ મરાઠાઓ દ્વારા વસઈ પર આક્રમણ કરવામાં આવ્યું હતું, પરંતુ એક વખત વસઈ પર વિજય મળ્યા બાદ તેમને અહીં રહેવામાં રસ નહોતો. કેમ કે તેમને એવો ડર હતો કે પોર્ટુગીઝો દ્વારા જે ખ્રિસ્તીકરણ કરવામાં આવ્યું હતું તેનાથી તેમનો પણ ધર્મ ભ્રષ્ટ થઈ જશે. ત્યારથી દુર્લક્ષિત વસઈનો કિલ્લો અત્યારે દેશના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના હાથમાં ગયા બાદ પણ દુર્લક્ષિત જ છે. કેવી રીતે જવાય? વસઈ રેલવે સ્ટેશનથી એસટીની બસ અને ઓટોરિક્ષામાં જઈ શકાય આ ઉપરાંત વસઈ તાલુકામાં સુરુ-ચી બીચ જેટલા જ પ્રખ્યાત બીજા સમુદ્ર કિનારાઓ પણ છે, જેની મજા એક વખત તો લેવી જ જોઈએ, જેમાં સૌથી પહેલાં આવે કળંબ બીચ, ત્યાર બાદ કલિંગર માટે પ્રખ્યાત રાણગાંવનો દરિયા કિનારો, બંને જગ્યાએ જવા માટે વસઈ રેલવે સ્ટેશન પાસેના એસટી સ્ટેન્ડ પરથી બસ મળે છે. વિરાર રેલવે સ્ટેશનથી અર્નાળા બીચ જઈ શકા છે અને અહીં જ બીજી એક જોવા જેવી વસ્તુ છે અર્નાળાનો કિલ્લો. અર્નાળા જતાં રસ્તામાં જ અગાશી ગામ આવે છે જ્યાં જૈનોનું જાણીતું દેરાસર આવેલું છે. આ ઉપરાંત નાલાસોપારાના સોપારા ગામમા ઐતિહાસિક બૌદ્ધ સ્તૂપ આવેલા છે. આ બૌદ્ધ સ્તુપમાં બુદ્ધનું ભિક્ષાપાત્ર રાખવામાં આવ્યું છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા વસઈ તાલુકામાં જે ચારેક સાઈટનું જતન કરે છે તેમાં એક આ બૌદ્ધ સ્તૂપ પણ છે જેનું નૂતનીકરણ સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. નાલાસોપારામાં જ ઐતિહાસિક ચક્રેશ્ર્વર મહાદેવનું મંદિર છે. પાંડવોએ આ મંદિરમાં પૂજા કરી હોવાનું માનવામાં આવે છે આ મંદિરને લાગીને આવેલા ચક્રેશ્ર્વર તળાવનું તાજેતરમાં જ નૂતનીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વસઈના પ્રખ્યાત સાતીવલી અને વજ્રેશ્ર્વરીમાં આવેલા ગરમ પાણીના કુંડ જેવા ફરવાનાં અનેક સ્થળો છે.

No comments:

Post a Comment